
કયા કેસોમાં જામીન લઇ શકાય
(૧) જેના ઉપર બિન-જામીની ગુનાનો આરોપ ન હોય તે કોઇ વ્યકિતને પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી વગર વોરંટે પકડે કે અટકમાં રાખે અથવા કોઇ ન્યાયાલય સમક્ષ તે હાજર થાય કે તેને રજૂ કરવામાં આવે અને તે એવા અધિકારીની કસ્ટડીમાં હોય ત્યારે કોઇપણ સમયે અથવા એવા ન્યાયાલય સમક્ષની કાયૅવાહીના કોઇપણ તબકકે જામીન આપવા તૈયાર થાય ત્યારે તે વ્યકિતને જામીન ઉપર છોડવામાં આવશે. પરંતુ એવો અધિકારી કે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો અને જો આવી વ્યકિત ગરીબ હોય અને જામીન પૂરા પાડી શકે તેમ ન હોય તો તે વ્યકિતના જામીન લેવાને બદલે આ સંહિતામાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે હાજર થવા માટે તે વ્યકિત મુચરકો આપે ત્યારે તેને છોડી મૂકી શકશે.
સ્પષ્ટીકરણઃ- જયારે કોઇ વ્યકિત તેની ધરપકડની તારીખથી એક અઠવાડિયાની અંદર તેનું જામીનખત આપી શકે તેમ ન હોય ત્યારે અધિકારી અથવા ન્યાયાલય દ્રારા આ પરંતુકના હેતુઓ માટે તે વ્યકિતને ગરીબ માની લેવામાં આવે તે માટેનો પૂરતો આધાર ગણવામાં આવશે.
વધુમાં આ કલમના કોઇ મજકૂરથી કલમ-૧૩૫ની પેટા કલમ (૩)ની અથવા કલમ-૪૯૨ની જોગવાઇઓને બાધ આવતો હોવાનું ગણાશે નહી.
(૨) પેટા કલમ (૧) માં ગમે તે હોય તે છતા હાજર રહેવાના સમય અને સ્થળ સબંધી મુચરકાની અથવા જામીન ખતની શરતો કોઇ વ્યકિતએ પાળેલ ન હોય ત્યારે તે જ કેસમાં પછીના કોઇ પ્રસંગે તે ન્યાયાલય સમક્ષ હાજર થાય અથવા તેને પહેરા હેઠળ લાવવામાં આવે તો ન્યાયાલય તેને જામીન ઉપર છોડવાની ના પાડી શકશે અને એવી રીતે ના પાડવાથી કલમ-૪૯૧ હેઠળ એવા મુચરકા અથવા જામીનખતથી બંધાયેલ કોઇ વ્યકિતને દંડ ભરવાનું ફરમાવવાની ન્યાયાલયની સતાને બાધ આવશે નહી.
Copyright©2023 - HelpLaw